Year: 2024
Death news
AAYESHA ABDULLAH CHHELA [SUFI MASTER] passed away at Manubar…………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e Janaja will held at Manubar village at 2:30 pm. today. May ALLAH [SWT] grant a place in Jannatul Firdaush. Ameen.
દુનિયાભરમાં મુશાયરાના જીવંત કાર્યક્રમની મજા માણતા સાહિત્યપ્રેમીઓ
તા. ૨૬ જાન્યુઆરીના રોજ પુસ્તક વિમોચન, સન્માન સમારંભ, ભવ્ય ગુજરાતી મુશાયરાના કાર્યક્રમ દુનિયાભરમાં જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં ૫૦૭૪ લોકોએ આ પ્રોગ્રામ નિહાળ્યો. જેમાં દુનિયાભરમાં અનેક લોકો આ પ્રોગ્રામને જીવંત જોઈ રહ્યા હતા અને પોતાનો અભિપ્રાય ચાલુ કાર્યક્રમમાં આયોજકો સાથે સતત શેર કરી રહ્યા હતા. નમૂના રૂપ નીચે આપવામાં આવેલ ફોટોમાં આપણા ગામના સાહિત્યપ્રેમી, રમતગમતપ્રેમી અને ખુબ સક્રિય એવા હાજી અબ્દુલસત્તાર નગીયા સાહેબ ઝામ્બિયામાં રહીને ખુબ આતુરતાપૂર્વક કાર્યક્રમ નિહાળતા નજરે પડે છે. આ તબક્કે જેઓના શુભેચ્છા સંદેશાઓ અમને મળ્યા છે એ તમામના અમો દિલથી શુક્રગુજાર છીએ. આ સંદેશાઓ, ઓડિયો વીડિયો કોલ કરનારા સાહિત્યપ્રેમીઓની નામોની યાદી ઘણી લાંબી હોવાને લઈને અત્રે મૂકી શકતા નથી એ માટે માફ કરશો.
ટંકારિયામાં ઉર્સ એ સૈયદની ઉજવણી થઇ
ગતરોજ ઉર્સ એ સૈયદ એટલેકે કિછૌછા મુકામે આરામ ફરમાવી રહેલા મોહદ્દીસ એ આઝમે હિન્દ [રહ.] ના વાર્ષિક ઉર્સની ઉજવણી ૧૬ રજબ ના રોજ કરવામાં આવે છે. જે અંતર્ગત ગત રવિવારના રોજ ટંકારીઆ ગામે પણ ઉર્સની ઉજવણી કરાઈ હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા મસ્જીદે મુસ્તુફાઇય્યાહ ટંકારિયામાં ખત્મે કુરાનખાની તથા ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અકીદતમંદોએ મોટી સંખ્યામાં હાજરી આપી ફૈઝીયાબ થયા હતા.
ટંકારીઆ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ
મરે છે બધા, જીવે છે કેટલા…
ઓ જિંદગી તને ઉજવે છે કેટલા?___ડો. રઈશ મનીઆર.
તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ ને શનિવારના રોજ ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆમાં વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિ, ગઝલકાર, નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક એવા ડો. રઈશ મનીઆર તથા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મહામંડળના લેખિકા હર્ષવીબેન પટેલ હાજર રહ્યા હતા. ડો. રઈશ મનીઆર અને હર્ષવીબેન પટેલની કૃતિઓ ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામેલ છે. તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હોય ટંકારીઆ ગામમાં મુશાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમનો કિંમતી સમય વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ફાળવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય ગુલામ પટેલે ડો. રઈશ મનીઆર, હર્ષવીબેન પટેલ, માજી સરપંચ ઝાકીર ઉમટા, નાસીરહુસૈન લોટીયા, ઇસ્માઇલભાઈ ખૂણાવાલાની વિદ્યાર્થીઓને ઓળખ કરાવી મહેમાનોને આવકાર્યા હતા. આ તબક્કે ડો. રઈશ મનીઆરની બે પ્રખ્યાત ગઝલોની પંક્તિઓ ટાંકી પોતાના પ્રવચનને ટૂંકાવી આચાર્ય ગુલામસાહેબે સમયનો સદ્દઉપયોગ થાય એ બાબતને ધ્યાનમાં રાખી ડો. રઈશ મનીઆરને વક્તવ્ય માટે આમંત્રિત કર્યા હતા.
ડો. રઈશ મનીઆરે પોતાના ૪૦ મિનિટના ધારદાર વક્તવ્યમાં સચોટ ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને જીવન અને કારકિર્દીના પાઠો ભણાવ્યા હતા. તેમણે શિક્ષણને તણાવમુક્ત રહીને આનંદની સાથે ગ્રહણ કરવા માટે અમૂલ્ય સૂચનો કર્યા હતા. જેમાં તેમણે ટીનએજર અવસ્થા એ જીવનની દશા અને દિશા બદલનાર અવસ્થા હોય બાળકોએ આ સમયગાળાને ખાસ મહત્વ આપી પોતાના જીવનના ઘડતર માટેના આ સમયગાળામાં સજાગ રહેવાની સલાહ આપી હતી. ભવિષ્યનો વધારે પડતો વિચાર કરીને વર્તમાનમાં જીવવાનું ભુલાવી દે એવી તાણવાળી જિંદગીથી બચવાના ખાસ ઉપાયો સૂચવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શિખામણ આપી હતી કે, બીજા વિદ્યાર્થી સાથે પોતાની સરખામણી કરીને તણાવ અનુભવવા કરતા પોતાના જ અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે પોતાના જીવનના અનુભવોનો નિચોડ, સચોટ દ્રષ્ટાંતો ટાંકી વિદ્યાર્થીઓ અને હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.